એ સમય હતો જયારે મર્યાદિત સંખ્યાના ગુજરાતી ગીતોને વારંવાર સાંભળીને મર્યાદિત સંખ્યાના શ્રોતાઓ પણ હવે ધીરે ધીરે મહેફિલથી વિમુખ થઈ રહ્યાં હતા. ખાલી ખુરશીઓ સામે રજૂઆત કરતા કલાકારો માટે એ સામાન્ય દ્રશ્ય બની ગયું હતું … આકાશવાણી અને દૂરદર્શન જેવા સરકારી પ્રસારણ માધ્યમોની આંગળી પકડીને ગુજરાતી સુગમ સંગીત ડગમગતું ચાલવા મથતું હતું.
ત્યારે ગરવી ગુજરાતી ભાષાના ગરવા કવિજનોની રચનાઓને સ્વરબધ્ધ કરીને ગુજરાતી ભાવકોના હૈયે ને હોઠે ગુંજતી કરવા શ્યામલ-સૌમિલે પ્રતિભા, સાધના અને સર્જનાત્મક પ્રસ્તુતિનું બિલીપત્ર ભગવાન નટરાજના શ્રી ચરણે ધર્યું. અને જાણે કે ચમત્કાર થયો! નવાં ગીતો, નવાં સ્વરાંકન, નવાં વિષયવસ્તુની કલ્પનાસભર રજૂઆતે જૂનાં ભાવકોને મહેફિલમાં પાછા વળ્યાં અને નવાં ભાવકોને આવવા પ્રેર્યા. ખાલી ખુરશીઓ ભરાઈ ગઈ અને મહેફિલો તાળીઓથી છલકાઈ ગઈ. સર્જાયેલો શૂન્યાવકાશ સૂઝભરી દાદથી સભર-સભર થઈ ગયો.
એ નાનકડા પણ આયોજનબધ્ધ પ્રયાસનું બીજ દસ વર્ષમાં એક વટવૃક્ષ બનીને ફાલ્યું… અને એને છાંયડો ગુજરાતી ગીતસંગીતની તરસ છીપાવતી પરબ, મંડાઈ, જેનું નામ ‘સ્વરસેતુ’.
સમયની માંગને સમજીને શ્યામલ-સૌમિલે ભરેલું એ સમયસરનું પગલું હતું. જેને આજે હજારો ભાવકોનો ઉત્સાહપૂર્ણ સાથ સંગાથ સાંપડ્યો છે. સમયના વહેણથી વિખુટાં થતાં બે કિનારાને જોડે છે ‘સ્વરસેતુ’.
Application Form